ગુજરાતના પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં આજથી ભાદરવી પુનમના મેળાનો શુભારંભ થયો છે.બનાસકાંઠાના કલેકટર દ્વારા અંબાજી મહા મેળાનો પ્રારંભ કરાવાયો છે. મેળાના પ્રથમ દિવસથી ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા છે ત્યારે આગામી સાત દિવસમાં આ મેળોમાં દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે અને વ્યવસ્થિત દર્શન થાય તે માટે દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે જેથી મેળા દરમિયાન ભક્તો વહેલી સવારે 5 વાગ્યાથી માતાજીના દર્શન કરી શકશે. મેળા દરમિયાન સતત સ્વચ્છતા જળવાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે તેમજ કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.