February 11, 2026

NIAના લિસ્ટમાં સામેલ પંજાબી ગેંગસ્ટરની કેનેડામાં ગોળી મારીને હત્યા

હાલમાં જ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે કેનેડામાં ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા કરવામાં આવી છે. તે નકલી પાસપોર્ટ બનાવીને વર્ષ 2017માં પંજાબથી કેનેડા ભાગી ગયો હતો.

આ સંદર્ભે મળતી માહિતી મુજબ સુખા દુન્નાકેને કેનેડાના વિનીપેગમાં ગોળી મારવામાં આવતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દુન્નાકે પર લગભગ 15 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે, તે NIAએ તૈયાર કરેલી 41 આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના લિસ્ટમાં સામેલ હતો, કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગેંગસ્ટર સુખાને ખાલિસ્તાની આતંકવાદી-ગેંગસ્ટર અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લાનો જમણો હાથ માનવામાં આવતો હતો. તે કેનેડામાં બેસીને ભારતમાં તેના સાગરિતો પાસેથી ખંડણી વસૂલતો હતો.